શ્રીમદ્ ભગવદ્ ગીતા

09/04/2025

*📖શ્રીમદ્ ભગવદ્ ગીતા📖*

*અધ્યાય: ૧૦ વિભૂતિયોગ*
*શ્લોક: ૩૮ ભાગ-૧*

*दण्डो दमयतामस्मि नीतिरस्मि जिगीषताम्।*
*मौनं चैवास्मि गुह्यानां ज्ञानं ज्ञानवतामहम्।।૧૦.૩૮।।*

*શબ્દાર્થ:-*
દમન કરનારાઓની દમનશક્તિ હું છું, જય મેળવવાની ઈચ્છાવાળાઓની નીતિ હું છું, ગુપ્ત રાખવાના ભાવમાં મૌન હું છું અને જ્ઞાનીઓનું તત્ત્વજ્ઞાન પણ હું છું. *।।૧૦.૩૮।।*

*ભાવાર્થ:-*
            હવે પ્રભુ આગળ કહે છે કે दण्डो दमयतामस्मि - હું દમન કરનારાઓનો દંડ છું. દમ એટલે શાસન કરવું, જવાબદારીપૂર્વક જાળવવું, સુવ્યવસ્થિત રાખવું, તાબામાં રાખવું, શિસ્તમાં રાખવું, સાચા રસ્તે જાળવી રાખવું, જતન કરવું, કાબુમાં રાખવું, વશમાં રાખવું. दमयताम् એટલે આ બધું કરનાર. એમનો દંડ હું છું. એટલે કે માનવીને જીવનમાં સાચા માર્ગે ચાલીને, જીવનવિકાસ કરવાના માર્ગે, સાચી દિશામાં દોરનારા અને ભટકવા ન દેનારા જે જે दमयताम् સંબંધો છે, તેમનો દંડ એ પ્રભુ સ્વયં છે

            આખી સૃષ્ટિના સઘળા જીવો પ્રભુના જ સંતાન છે. પ્રભુએ જ સૌનું નિર્માણ કર્યું છે. સૌ પ્રભુના જ અંશ છે. સૌ પ્રભુ જ છે. આપણે સૌ ઈશ્વરના અંશો - પ્રભુએ સૃષ્ટિનિર્માણ સમયે આપણને રમવા માટે જે ત્રિગુણ આપ્યા, તેમાં રમમાણ થઈને માનવીજીવનનો સાચો માર્ગ ભૂલી જઈએ છીએ. ઈશ્વરને પણ ભૂલી જઈએ છીએ. જીવ (પ્રભુનો દીકરો) જીવનના કોઈ ત્રિભેટે ભૂલો ના પડે તે માટે પ્રભુએ દરેક અવસ્થામાં તેનું પાલન કરનાર વ્યવસ્થા ઊભી કરી છે, તે दमयताम् છે

            જીવ જન્મે ત્યારથી મા-બાપ તેના दमयताम् છે. મા દીકરાને અભ્યાસ કરવા માટે સવારે વહેલો ઉઠાડે છે, રાતે વહેલો સુવા કહે છે, બાળકને આ ગમતું નથી. અને દંડ શું છે?? આપણને જે ગમતું નથી, તે આપણા માટે દંડ છે. અને મોટેભાગે આપણને જીવનની ઉર્ધ્વગતિની વાતો ગમતી નથી. કારણ કે તેમાં શ્રમ પડે છે, બંધન છે, તપસ્યા છે. અને અધોગતિની વાતો નિર્બદ્ધ છે, શ્રમહીન છે, તપહીન છે. તેથી તે નુકસાનદેહ હોવા છતાં તત્ક્ષણ સારી જ લાગે છે.

            પ્રભુએ આ સૃષ્ટિમાં જીવમાત્રને મૂકતી વખતે ઈચ્છાસ્વાતંત્ર્ય આપ્યું છે. આ બહુ મોટી તક, બહુ મોટું બીડું પ્રભુએ આપ્યું છે. પરંતુ તે કોઈને સમજાતું નથી. Roller coaster જેવી આમાં મજા છે. હું ઇશ્વર જ હતો, પ્રભુએ મને સ્વતંત્રતા આપીને આઘો / નીચો કર્યો છે. મારે મારું કૌશલ્ય બતાવીને ઝડપભેર ઊંચે ચડી પ્રભુમય થવાનું છે. પ્રભુને ખુશ કરવાના છે. આપણું બાળક કંઈ અણધાર્યું કરી દેખાડે તો આપણને કેવો આનંદ અને ગલગલિયાં થાય છે!!! તેવું જ પ્રભુએ અનુભવવું છે. તે માટે આ લીલા કરી છે.

             અને આ લીલામાં જીવ ભટકીને ગેરમાર્ગે ન જાય તે માટે પ્રભુએ માનવજીવનમાં જુદા-જુદા Role માં दमयताम् (શાસક) રાખ્યા છે. તેમાં સૌપ્રથમ મા-બાપ. સાચા મા-બાપ એ છે કે બાળકને પ્રેમપૂર્વક Do's & Dont's શીખવે. તેના મગજમાં ઉતારે, તેનું પાલન કરાવે અને તે મુજબ ન કરે તો દંડે. સત્યરાહે ચલાવવા / ટકાવવા માટે થયેલો આ દંડ હું જ છું, એમ પ્રભુ કહે છે. તેથી ઋષિમુનિઓએ કહ્યું मातृदेवो भव। पितृदेवो भव। બાળકોને દંડ કરવો પડશે. દંડનો અર્થ લાકડીથી ઝૂડવું એવો જ માત્ર નથી. દંડ ઘણા પ્રકારના હોય છે. તેની કક્ષા મા-બાપની પોતાની જીવનકક્ષા અને વિચારકક્ષા પર આધાર રાખે છે.

            બાળક મોટું થાય અને વિદ્યાભ્યાસાર્થે જાય એટલે ત્યાં તેના दमयताम् શિક્ષક/ગુરુ. આજે સ્થિતિ એવી છે કે શિક્ષક દંડ કરી શકે એ સ્થિતિમાં જ નથી. મા-બાપો બીજે દિવસે સ્કૂલોમાં હલ્લો કરે છે. બાળક હજી નવમા ધોરણમાં આવે એટલે તો તેના માટે હરખપદુડા બાપની બાઈક લેવાની અને મોમની મોબાઇલ લેવાની ઇચ્છાઓ હિલ્લોળા લેવા લાગે છે. બાળકોને મોબાઈલસહ શાળાએ જવા દેવા માટે વાલીઓ હડતાળ કરે છે!! આમાં શિક્ષકદંડ ક્યાં રહે?? વળી કેટલાક શિક્ષકો પણ એવા છે કે જેઓ બાળકો પાસે પોતાના અંગત કામો કરાવે છે. એ બધી વાત જવા દઈએ, પણ એક આદર્શ શિક્ષક વિદ્યાર્થીના વિકાસ માટે તેને જે કંઈ દંડ કરે એ પ્રભુની વિભૂતિ છે.

            પછી જીવ ગૃહસ્થાશ્રમી થાય ત્યારે સમાજદંડ. એક કાળે જ્ઞાતિના બંધનો કડક હતાં. તે તોડનારા ન્યાત બહાર મુકાતાં. દરેક જાતિ પોતપોતાના સમાજના વિકાસ અનુસાર જે તે નિયમો નક્કી કરે. આ નિયમો સમાજના દરેકને બંધનકર્તા થાય. આ બધા વિકાસલક્ષી જે દંડ છે તે પ્રભુની વિભૂતિ છે. સાચું કહીએ તો આજે માણસ થોડો ઘણો જે વ્યવસ્થિત રહે છે, તે સમાજની બીકે જ રહે છે.

            રાજ્યના / દેશના નાગરિક તરીકે રાજદંડ. શાસનના નક્કી થયેલા નિયમો ન પાળો તો દંડ થાય. વેરા ન ભરો તો કનેક્શન કપાય. હિંસા કે ફ્રોડ કરો તો જેલ થાય. કર ના ભરો તો સજા થાય. આ બધા દંડ છે.

            આ ચારેય દંડમાં મા-બાપનો દંડ (કૌટુંબિક દંડ) પ્રેમનિષ્ઠ હોવો જોઈએ. શિક્ષક / ગુરુ દંડ કર્તવ્યનિષ્ઠ હોવો જોઈએ. સમાજદંડ શાસ્ત્રનિષ્ઠ હોવો જોઈએ અને રાજદંડ વિવેકનિષ્ઠ હોવો જોઈએ. તો આવા આ દંડો જે જીવનું શાસન કરે છે, તે પ્રભુની વિભૂતિ છે.

*જીવનમાર્ગે વિવિધ દમયિતાઓનો દંડ પ્રભુ છે*
*મારા જીવનવિકાસનું આયોજન આગોતરૂં છે*
_______________
*સંદર્ભ:* શ્રી મદ્ ભગવદ્ ગીતા
*🌺જય શ્રી કૃષ્ણ 🌺*

Written By:
ARVINDKUMAR BHATT
Share on:

વધુ પોસ્ટ

શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજમાં જોડાઓ

Nice to see you! Please Sign up with your account.